ઘરની દીકરી
કહે છે કે બાપને દીકરી બહુ જ વહાલી હોય. જન્મની
પ્રક્રિયામાં ભાગ લેનાર બાપને દીકરી વહાલી હોય, કારણ એક પુરુષ દીકરીના આવવાથી
જવાબદાર બને છે.
લગ્ન થાય ત્યાં સુધી એ બેજવાબદાર હોય –
ઘરના સંસ્કાર પુરુષોને જવાબદાર નથી બનાવતા, દર્દ સમજતા કે સહન કરતા નથી શીખવાડતા.
મા દીકરાને સાચવીને અને છાવરીને જ રાખતી હોય એટલે મા સિવાયના કીરદારો સાથે
સંકળાયેલી સ્ત્રીઓની સંવેદનાઓને પુરુષો લગ્ન સુધી સમજી જ નથી શકતા. લગ્ન પછી
પત્નીમાં પણ મા જેવો વ્યવહારની અપેક્ષા હોય. જરૂરિયાતો વધારે હોય અને અલગ-અલગ હોય,
પણ પત્ની પાસેથી કાળજી, ધ્યાન અને સંભાળની અપેક્ષા મા જેવી જ હોય. પુરુષના જીવનમાં
દીકરી એ પહેલી એવી સ્ત્રી હોય જેના કિરદાર પાસેથી તેને કોઈ અપેક્ષા ના હોય. જીવનમાં
પહેલીવાર સ્ત્રીને સ્ત્રીની જેમ – કીરદારો વગર, ફક્ત સ્ત્રીની જેમ – સમજતો થાય.
એની સ્ત્રી-સહજ સંવેદનાને સમજતો થાય. અને પોતાની અંદર રહેલી સંવેદનાઓને પણ સમજતો
થાય. ઘરના બાપ-દીકરાને ઘરની બધી જ બાબતોમાં પ્રાથમિકતા અને અગ્રીમતા આપવામાં આવી હોય
છે, ને! એટલે જ લગ્ન પછી પણ એક પુરુષની પ્રાથમિકતા
અને અગ્રીમતા પોતે જ હોય છે, પત્ની નહિ. દીકરીના આવ્યા પછી સંવેદનાની સમજ કેળવાય
અને પોતાનું મહત્વ ઓછું થતું જાય. દીકરીથી મળેલી આ સમજણ બાપને દીકરી માટે કઈપણ કરી
છૂટવા પ્રેરે. આમ તો એને દીકરી નામના માણસને થેંક્યુ કહેવું હોય. પણ એ પૂરતું ના
હોય એટલે, પોતાના ઘરની બધી જ બાબતોમાં દીકરીને પ્રાથમિકતા અને અગ્રીમતા આપતો થઇ
જાય. બાપના આવા વર્તનથી દીકરીને બાપ અને બાપનું ઘર બંને વહાલું લાગવા માંડે. આ
બાપનું ઘર એટલે પિયર.
પિયર દીકરીને ખુબ વહાલું હોય કારણકે બાપે
પોતાની પ્રાથમિકતા અને અગ્રીમતા ત્યજીને એ ઘર ને દીકરી-લક્ષી અને દીકરી-કેન્દ્રિત બનાવેલ
હોય. સાચા અર્થમાં એ ઘર દીકરીનું પોતાનું હોય. પિયરમાં એને જે કરવું હોય તે કરવાની
અને જે ના કરવું હોય એ ના કરવાની છૂટ હોય. કોઈપણ સ્ત્રીના બાકી બધા ઘર બીજાના હોય –
સસરાનું, સાસુનું, પતિનું, દીકરાનું કે દીકરી-જમાઈનું . પિયર પણ ત્યાં સુધી જ જ્યાં
સુધી બાપ હોય. જયારે બાપ મરે ત્યારે દીકરાને બાપ ખોયાનું દુઃખ હોય પણ દીકરીને પિયર
ખોયાનું દુઃખ પણ હોય. બાપના ગયા પછી પિયર એ ભાઈનું ઘર થઇ જાય. એ ઘર હવે એના
સંતાનોનું મોસાળ ખરું, પણ એનું પિયર નહિ.
તો, આપણા ઘરને ઘર જેવું બનાવવા માટે – એક સારું
ઘર બનાવવા માટે – એને પિયર જેવું જ કેમ ના બનાવીએ? એવું સતત કેમ ના કરતા રહીએ કે જેથી
આપણું ઘર આપણી દીકરી માટે, આપણા ઘરે રહેતી બીજી દીકરીઓ માટે, અને આપણા ઘરે
આવતી-જતી બધી દીકરીઓ માટે એક પિયર જેવું બની જાય?
મારું ‘ઘર જેવું ઘર’ એટલે મારી બેન-દીકરીઓ
અને તે ઉપરાંત મારી મા, સાસુ, સખીઓ, સાળીઓ, ભાભીઓ બધા એમના પિયરની જેમ રહી શકે
એવું ઘર. આ બધી કોઈકની દીકરીઓ મારી દીકરીઓ તો નાં બની શકે પણ તેઓ ‘મારા ઘરની દીકરી’
બની શકે તો કેવું?
મારી દીકરીનું ઘર એટલે મારા ઘરની
દીકરીઓનું ય ઘર!!
Amazing...very well written, true and touching 😊 Impressed !
ReplyDeleteAmazing... So much impressed with your expressiveness of feelings in simple and straight words.
ReplyDeleteKeep it up. Lots of love